Monday, May 7, 2012

મયખાનું


મયખાનું

ઈશ્વર?
તું અહીં? મયખાનાંમાં?
તને ખબર છે
  આમજન
મયખાને કેમ આવતા હોય છે?
રોજબરોજના ઢસરડામાંથી નીપજતી મુસીબતોને  
સાકીની પ્યાલીમાં ડુબાડવા માટે.

ઢસરડો? મુસીબતો?     
તને ક્યાંથી એનો અંદાજ હોય?
પણ, મયખાને આવ્યો જ છે
તો એ બધું સમજી લે તો સારું.   

હું નાસ્તિક તો નથી જ, પ્રભુ!
પણ, ચુસ્ત આસ્તિક પણ નથી.
એ હરોળની એક પારથી
બીજી પાર મને લઈ જવો હોય
તો, તો: નીલકંઠ તું
ઘોળીને ગળે ઉતારી દે એ બધી આમમુસીબતો.

અને, ધોઈ કરીને ઊંચે મુકી દે
મયખાનાંની બધી જ પ્યાલીઓ ...

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન